જંતુનાશક દવા ત્યાગી પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની અપીલ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલન યોજાયુ હતું.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલન યોજાયુ હતું. રાજ્યપાલે જણાવ્યુ હતું કે, ગુજરાતની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ- સામર્થ્યને દર્શાવી આપ્યું છે. પ્રાકૃતિક કૃષિ જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનું સર્જન કરશે. રાજ્યપાલે જણાવ્યુ હતું કે, દેશના ખેડુતો સમૃધ્ધ બને અને ખેતી આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ પગલાં લીધાં છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડુતોને આહવાન કર્યુ છે.
રાજ્યપાલે જણાવ્યુ હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિનો ૨૪ ટકા ફાળો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ- જમીન અને પર્યાવરણ પ્રદુષિત થયા છે. જમીનની ફળદ્રુપતા દિન- પ્રતિદિન ઘટતી જાય છે જેના કારણે ખેત ઉત્પાદન પણ સતત ઘટતું રહ્યું છે.
પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધતો રહ્યો અને ઉત્પાદન ઘટવાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. રાજ્યપાલે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા.