રાજ્ય સરકારનો મધ્યમ વર્ગ માટે મફત અનાજ આપવાનો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારનો મધ્યમ વર્ગ માટે મફત અનાજ આપવાનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં ગરીબ લોકોને ભુખ્યા રહેવાની નોબત ન સર્જાય અને તમામ પરિવારોને પુરતું અનાજ મળી રહે તેવો નિર્ણય આજે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા ચાલી રહેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તે માટે આ નિર્ણય કર્યો છે.
હવે રાજ્ય સરકાર APL કાર્ડ ધારકોને આપશે મફત અનાજ
રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1 ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકો ને કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. આના પરિણામે મધ્યમ વર્ગના પરિવારોને આ નિર્ણયને પરિણામે મોટી રાહત થશે અને વર્તમાન લોક ડાઉનની સ્થિતીમાં સરળતાથી અનાજ મળશે.
એપ્રિલ મહિના માટે મફત અનાજનું કરાશે વિતરણ
મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં અંત્યોદય અને PHH એવા ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ૩.૪૦ લાખથી વધુ એવા કાર્ડધારકો જેઓને NFSA અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે, મધ્યમ વર્ગના APL-1 કાર્ડધારકોને પણ અનાજ વિનામૂલ્યે આપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે કર્યો છે. આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે અને વિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે.
સંપન્ન લોકો સામાજિક દાયિત્વ નિભાવે તેવી મુખ્યપ્રધાનની અપીલ
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને અપિલ કરી કે, કોરોના વાયરસની હાલની સ્થિતીમાં આ સમયમાં સૌ સહયોગ કરી સાથે મળીને પાર ઉતરવું છે. આ મહામારી સામે વિજય મેળવવો છે. લોકડાઉનની સ્થિતીમાં કોઇ પરિવાર ભૂખ્યો ન રહે સૌને અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકારે APL-1 કાર્ડ ધરાવતા ૬૦ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે. તો સાથે સાથે APL-1 કાર્ડ ધરાવતા સંપન્ન વર્ગના પરિવારો પોતાનો અધિકાર જતો કરે અને જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાનું સામાજીક દાયિત્વ નિભાવે તેવી અપીલ કરી હતી.
31 નવી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો સરકારનો નિર્ણય