હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીનુ આંદોલન ડીજીપી માટે પડકાર રૂપ બની રહેશે
ગુજરાતના ત્રણ વર્ષ બાદ રેગ્યુલર ડીજીપી તરીકે શિવાનંદ ઝા મળ્યા છે. ત્યારે ગઇકાલે બપોરે ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર દ્વારા ચાર્જ છોડવામાં આવતા તેમણે ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો.
ગુજરાતના ત્રણ વર્ષ બાદ રેગ્યુલર ડીજીપી તરીકે શિવાનંદ ઝા મળ્યા છે. ત્યારે ગઇકાલે બપોરે ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર દ્વારા ચાર્જ છોડવામાં આવતા તેમણે ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. આગામી બે વર્ષ સુધી શિવાનંદ ઝા ડીજીપીના પદ રહેનાર છે. ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન હવે લોકસભાની ચૂંટણી કોઇ પણ મુશ્કેલી વિના પાર પડે તે તેમની પ્રાથમિકતા રહેશે.
ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે જ પાટીદાર અનામત આંદોલન શરૂ થયુ હતુ અને હાર્દિક પટેલની જીએમડીસીની રેલીમાં અંદાજે 10 લાખથી વધારે પાટીદારો આવ્યા હતા. આ રેલી બાદ હાર્દિકની અટકાયત થતા સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી અને મોટાપાયે તોડફોડ પણ થઇ હતી. ત્યારબાદથી હાર્દિક સરકાર પર સતત ભારે પડી રહ્યો છે અને તેના કારણે વિધાનસસભાની ચૂંટણીમાં ભાજપ માંડ માંડ 99 સીટ સુધી પહોંચી હતી.
આમ, હજુ પણ હાર્દિક પટેલ પાટીદાર અનામત મુદે સરકાર સામે એટલા જ જોમથી લડવા તૈયાર છે. ત્યારે માર્ચ પછી હાર્દિક પટેલ ફરીથી આંદોલનની શરૂઆત કરે તેવી પુરેપુરી શક્યતા છે. તો બીજી તરફ હવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ દલિત મુદે સતત લડત આપી રહ્યા છે અને ભાનુભાઇ વણકરના આત્મવિલોપન બાદ રાજ્યમાં આત્મવિલોપનની ધમકીની ફરિયાદો સતત વધી રહી છે. આમ, લોકસભા 2019 પહેલા શિવાનંદ ઝા માટે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી માથાનો દુખાવો બની રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
શીવાનંદ ઝા ભાજપ સરકારના સૌથી પ્રિય આઇપીએસ અધિકારી છે. ત્યારે ઝા રાજ્યમાં ભાજપની સરકાર માટે કેટલાક મહત્વના નિર્ણયો લે તેવી પણ શક્યતા છે. જો કે શિવાનંદ ઝા માટે એક રાહતની બાબત એ છે કે તેમને જ્યારે રાજ્ય પોલીસ વડા બનાવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસમાં પુરતો પોલીસ સ્ટાફ પણ ભરતી કરવામાં આવી છે જેથી પુરતો બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડે તો સ્ટાફ ખોટ નહી જણાય.
શીવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી તે તેમની પ્રાથમિકતા છે અને કાયદાની સ્થિતિ જાળવવા માટે તે આકરા પગલા લેવા માટે પણ તૈયાર છે. સુત્રોનું કહેવુ છે કે આગામી સોમવારે ડીજીપી શિવાનંદ ઝા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિશેષ મીટીંગ કરીને પોલીસ વિભાગ સ્થિતિનો તાગ મેળવીને આગામી રણનિતી નક્કી કરી શકે છે.