27 વર્ષ બાદ વિશેષ યોગમાં કનૈયાનો જન્મ થશે
લખનઉ, 24 ઓગષ્ટ: ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો માટે જન્માષ્ટમીનો તહેવાર આ વખતે વિશેષ ફળદાયી બનીને આવ્યો છે. 27 વર્ષ બાદ નક્ષત્ર, ગૃહ અને દિવસનો વિશેષ યોગ બને છે. જેમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે. પુરાણોમાં વર્ણવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણનો જન્મ બુધવારે થયો હતો અને 28 ઓગષ્ટના રોજ બુધવાર છે.
પંડિત ગણેશદત્ત ત્રિપાઠી અનુસાર અર્ધરાત્રિ વ્યાપિની ભાદ્રપદ કૃષ્ણ પક્ષ અષ્ટમીના રોજ ચંદ્રોદય સાથે રોહણી નક્ષત્ર તથા રાત્રે 12 વાગે રોહીણી નક્ષત્ર યુક્ત અષ્ટમીને લઇને આ વખતે ભક્તોમાં એકદમ ઉત્સુકતા છે. તેને શ્રીકૃષ્ણ જયંતી યોગ કહ્યો છે.
ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણના જન્મ સમયે પણ આ તિથી અને નક્ષત્ર હતા. 27 ઓગષ્ટ 1986ના રોજ વિશેષ યોગમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. અઢી દાયકા વધુ સમય બાદ આ વર્ષે વિશેષ યોગમાં કૃષ્ણ ભક્તિનો અવસર ભક્તોને મળ્યો છે. દેશભરમાં એકસાથે 28 ઓગષ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવશે.