સુરતની સરકારી મેડિકલ કોલેજને અંગદાન માટે મંજૂરી મળી!
અંગદાનની ઝુંબેશ આગળ ધપાવવા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (SOTTO) એ સુરતની સરકારી મેડિકલ કોલેજને અંગોના દાન માટે મંજૂરી આપી છે.
સુરત : અંગદાનની ઝુંબેશ આગળ ધપાવવા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (SOTTO) એ સુરતની સરકારી મેડિકલ કોલેજને અંગોના દાન માટે મંજૂરી આપી છે. સુરતની સરકારી મેડિકલ કોલેજે ઓર્ગન હાર્વેસ્ટિંગ માટે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશનની પરવાનગી માંગી હતી. ડીન ડો.ઋતંબરા મહેતા, એડિશનલ ડીન ડો. નિમેશ વર્મા, અધિક્ષક ડો. ગણેશ ગોવેકર અને ટીબી ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામાએ આ માટે પત્રવ્યવહાર કર્યો હતો. SOTTOના કન્વીનર ડો. પ્રાંજલ મોદીએ બુધવારે સુરત મેડિકલ કોલેજને ઓર્ગન હાર્વેસ્ટિંગની મંજૂરી આપી હતી.
આ માટે મેડિકલ કોલેજમાં બ્રેઈન ડેડ સર્ટિફિકેશન કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 21 તબીબોને જવાબદારી સોંપવામાં આવી છે. ડો.પરેશ ઝાંઝમેરા (ન્યુરો મેડિસિન, પ્રોફેસર), ડો.હરેશ પારેખ, ડો.જય પટેલ, ડો.મેહુલ મોદી, ડો.મિલન સેંજલીયા, ડો.નીતા કવિસ્વાર, ડો.બંસરી કંથારીયા, ડો.હર્ષા પટેલ, ડો.સુનૈના પટેલ, ડો.નીલમ પરમાર, ડો.નીધી પટેલ, ડો.જીજ્ઞાશા પટેલ, ડો.શ્વેતા પટેલ, ડો.કે. એન. ભટ્ટ, ડો.મહેશ જી. શોલુ, ડો.અશ્વિન વસાવા, ડો.અમિત ગામીત, ડો.સંગીતા ત્રિવેદી, ડો.જીગીષા પાટડીયા, ડો.યોગેશ પરીક અને ડો.કીર્તિ મહેતાનો સમાવેશ કરાયો છે.
આ સિવાય 15 ડોક્ટરોની અંગદાન મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2018-19 સુધી સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ઓર્ગન હાર્વેસ્ટિંગ કાર્યવાહી થતી હતી, પરંતુ બાદમાં નવી ગાઈડલાઈન બહાર પડતાં આ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી સરકારી મેડિકલ કોલેજને મંજૂરી મળી છે. હવે ગુજરાતમાં કુલ 57 હોસ્પિટલો છે, જ્યાં અંગદાનની મંજૂરી છે.
બુધવારે માંડવી તાલુકામાં રહેતા 51 વર્ષીય વ્યક્તિને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તબીબોએ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ડૉ. શ્રેયશ અને તેમની ટીમ સુરત આવી હતી અને અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી એક ગઠ્ઠો બહાર આવ્યો હતો. જે બાદ અંગદાનની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. ડોકટરોને શંકા હતી કે તે કેન્સરયુક્ત ગઠ્ઠો છે.