26/11ના દોષિત કસાબને ફાંસી : પાકિસ્તાનમાં ઉજવણી!
પટના, 25 નવેમ્બર : મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલાના દોષિત આતંકવાદી અજમલ આમીર કસાબને 21 નવેમ્બર, 2012ના રોજ આપવામાં આવેલી ફાંસીની સજાને ભારતના વિવિધ પ્રદેશોમાં વધાવી લેવામાં આવી હતી. આતંકવાદીને આપવામાં આવેલી સજાથી ખુશ લોકોએ ઉજવણી કરી હતી. હવે, આ ઉજવણીમાં પાકિસ્તાન પણ જોડાઇ ગયું છે. હા, અહીં લખવામાં કોઇ જ ભૂલ થઇ નથી. પાકિસ્તાનમાં પણ કસાબને ફાંસી આપવાનો જશ્ન મનાવવામાં આવ્યો છે. આની વધારે વિગત મેળવવા આગળ વાંચો.
ભારતના રાજ્ય બિહારમાં આવેલું એક નાનકડું ગામ છે. આ ગામમાં માત્ર 35 કુટુંબો રહે છે. ગામની કુલ વસતી અંદાજે 250 છે. મઝાની વાત એ છે કે આ ગામનું નામ પાકિસ્તાન જ છે. આ નાનકડા ગામમાં કસાબને ફાંસીના સમાચાર પહોંચતા જ તેમણે ઉજવણી કરી હતી.
પાકિસ્તાનમાં ઉજવણી અંગેની વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે "પાકિસ્તાનમાં લોકોએ કસાબને ફાંસીના સમાચારને આવકાર્યા હતા. તેમણે ગામમાં મીઠાઇઓ તો વહેંચી જ સાથે ફટાકડા પણ ફોડ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ગામમાં એક મિજબાની યોજવાનું આયોજન કરી રહ્યા છે."
ગામની એક વ્યક્તિએ જણાવ્યું કે "26 નવેમ્બર, 2008ની ઘટનાની અમારા ગામમાં ખૂબ ભયાનક અસર થઇ હતી. આ કારણે અમે ગામનું નામ બદલવાનો વિચાર પણ કર્યો હતો. આ અંગે અમે ગામમાં ચર્ચા પણ કરી હતી. જો કે છેવટે ગામનું નામ બદલવાનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો."
પાકિસ્તાની આતંકવાદી કસાબને 26/11 હુમલાનો ગુનેગાર માનવામાં આવતાં તેને ફાંસીએ આપવામાં આવી હતી. સંપૂર્ણ કાનૂની કાર્યવાહી બાદ અજમલ કસાબને 21 નવેમ્બર, 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. તે 166 લોકોનાં મોત માટે જવાબદાર હતો. કસાબને ફાંસી બાદ પાકિસ્તાન સરકારે તેના મૃતદેહ માટે કોઇ જવાબ નહીં આપતા તેને પુનાની યરવાડા જેલના પરિસરમાં જ દફનાવવામાં આવ્યો હતો.