લાકડીઓથી હુમલો પ્રતિક્રિયા હતી, તે દોષી ન ગણાય-રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખીમપુર ખીરીમાં થયેલી હિંસક ઘટના અંગે નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખીમપુર ખીરીમાં થયેલી હિંસક ઘટના અંગે નિવેદન આપ્યું હતું. આજે પત્રકારો સાથે વાત કરતા ટિકૈતે કહ્યું કે વાહનમાં રહેલા લોકો કોણ હતા, જેણે લોકોને માર્યા? અને પાછળથી જેને (ખેડૂત આંદોલનકારીઓ) લાકડીઓથી હુમલો કર્યો તે કેવી રીતે દોષીત છે?
રાકેશ ટિકૈતે કહ્યું કે- તે ક્રિયાની પ્રતિક્રિયા હતી. જો કોઈ કારથી લોકોને મારતા હોય અને લાઠીનો ઉપયોગ કરવામાં આવે તો તે કોઈ ષડયંત્ર નથી. તે કોઈ યોજના નથી. તે હત્યામાં ગણાતું નથી, અમે તેને દોષીત ગણતા નથી. દોષીત તે છે જેને કારથી લોકોને માર્યા.
પત્રકારો સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવ પણ રાકેશ ટિકૈત સાથે હતા. યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, લખીમપુર ખીરી હિંસા મામલે સંયુક્ત કિસાન મોરચા 12 ઓક્ટોબરથી ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં કળશ યાત્રા કાઢશે. તેમણે કહ્યું કે 18 ઓક્ટોબરે રેલ રોકો આંદોલન થશે. આ પછી 26 ઓક્ટોબરે લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત થશે.
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ફાટી નીકળેલી હિંસાની ઘટના અંગે રાકેશ ટિકૈતે અગાઉ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, આ જિલ્લામાં આંદોલન કરી રહેલા ખેડૂતોને વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. તેમના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઘણા લોકોના મોતના અહેવાલ છે. જેના વિશે મારી પાસે માહિતી છે.