આ પાંચ કારણોએ ડુબાડી વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની નૌકા
હેમિલ્ટન, 29 જાન્યુઆરીઃ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી પરાજય મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડમાં રમાઇ રહેલી શ્રેણી પણ ગુમાવી દીધી છે. સતત બે શ્રેણી પરાજય મેળવવાના કારણે ટીમ ઇન્ડિયા આઇસીસી વનડે રેન્કિંગમાં પહેલા ક્રમાંકેથી ખસીને બીજા ક્રમાંકે આવી ગઇ. છેલ્લા ઘણા સમયથી બાદશાહત ભોગવનારી ટીમ બે શ્રેણીમાં પરાજય મળતાં જ વિશ્વની બીજા નંબરની ટીમ બની ગઇ.
છેલ્લી સાત વનડે મેચોમાં ભારતે એક પણ મેચ જીતી નથી. હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વનડે અંગે વાત કરવામાં આવે તો, ત્યાં વિકેટ ધીમી હતી, આશા હતી કે ભારત જીતશે, પરંતુ તેવું થયું નહીં. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટીમ ઇન્ડિયા અને ભારતના સૌથી સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા એવા તે કેવા નિર્ણય લેવામાં આવ્યા કે ભારતને ચોથી વનડેમાં પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
વિરાટ કોહલીને ઓપનિંગમાં ઉતાર્યો
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમમાં એક જ એવો બેટ્સમેન જોવા મળ્યો છે, જેનું ફોર્મ વિદેશ અને દેશમાં સારું હતું, તેમ છતાં ધોનીએ એક મહત્વની મેચમાં એ બેટ્સમેનનો ક્રમ બદલી નાંખ્યો. ધવનને મેચની બહાર કરીને વિરાટ કોહલીને ઓપનિંગમાં ઉતાર્યો હતો. આ સ્થાને કોહલી માત્ર બે રન જ બનાવી શક્યો. ધોની કોહલીને ઓપનિંગમાં ઉતરાતી વખતે એ વાત ભુલી ગયો કે, ભારત પાસે ઓપનિંગમાં ઉતારવા માટે રાયડુ અને રહાણે જેવા બેટ્સમેનો છે.
10 ઓવરમાં માત્ર 28 રન
એક તરફ ન્યુઝીલેન્ડની ટીમ લક્ષ્યાંક હાંસલ કરવાના દબાણ સાથે ઉતરી હતી, તેમ છતાં તેણે સાત ઓવરમાં 50 રન બનાવી નાંખ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હોવા છતાં પણ 10 ઓવરમાં માત્ર 28 રન જ બનાવી શકી અને વિરાટ કોહલી તથા રહાણેની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. મેચ બાદ ધોનીએ કહ્યું કે, કદાચ અમે 20થી 30 રન ઓછા બનાવ્યા હતા.
આ ખેલાડી વિરુદ્ધ નહોતો કોઇ માસ્ટર પ્લાન
સામાન્ય રીતે વિરોધી ટીમના કોઇ એક ખેલાડી કે જે ગમે તે સમયે મોંઘો પડી શકે છે, તેના વિરુદ્ધ માસ્ટર પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ ટીમ ઇન્ડિયા દ્વારા ન્યુઝીલેન્ડના ત્રીજા નંબરના ખેલાડી કેન વિલિયમ્સન વિરુદ્ધ કોઇ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો નહોતો. જેના કારણે આ ખેલાડીએ ભારત વિરુદ્ધ 71, 77, 66 અને 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
બોલિંગ પ્રદર્શન નબળું
ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમ દ્વારા જે બોલિંગ પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેટલુ ખરાબ પ્રદર્શન આ પહેલા ભારત દ્વારા ક્યારેય કરવામાં આવ્યું નહીં હોય. ભારતે ચોથી વનડેમાં પોતાના સ્પેશિયલિસ્ટ બોલર્સ ઉપરાંત કામ ચલાઉ બોલર્સને પણ અજમાવ્યા પરંતુ તેઓ માત્ર બે વિકેટ લેવામાં જ સફળ રહ્યાં. એક વિકેટ મોહમ્મદ સામી અને એક વિકેટ વરુણ એરોને મેળવી હતી. આ બન્નેને બાદ કરતા એક પણ બોલર સફળ નીવડ્યો નહીં, તેમજ બોલર્સે મન ભરીને રન પણ આપ્યા.
ધોનીના ચોંકાવનારા નિર્ણયો
ચોથી વનડેમાં ધોની દ્વારા અનેક ચોંકાવનાર નિર્ણયો કરવામાં આવ્યા, રૈનાની સાથે તેણે ધવનને પણ ટીમમાંથી બહાર કર્યો. વિરાટ કોહલીનો બેટિંગ ક્રમ બદલી નાંખ્યો. બિન્નીનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કર્યો છતાં પણ અશ્વિનને તેના કરતા આગળ ઉતાર્યો. બિન્ની પાસે માત્ર એક જ ઓવર નંખાવી. ન્યુઝીલેન્ડની ટીમ 10થી 20 ઓવર દરમિયાન બેકફૂટ પર હતી, ત્યારે ધોનીએ અચાનક સ્પિનર્સને હટાવીને ઝડપી બોલર્સને બોલિંગ આપી.