સ્ટોર્મ એલર્ટઃ 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાદની આશંકા
બુધવારે રાત્રે વાવાઝોડાએ ઉત્તરભારતમાં ભયંકર તબાહી મચાવી હતી. આ વાવાઝોડાને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બુધવારે રાત્રે વાવાઝોડાએ ઉત્તરભારતમાં ભયંકર તબાહી મચાવી હતી. આ વાવાઝોડાને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાવાઝોડાનું સંકટ હજુ પણ આવી શકે છે અને આ કારણે જ હવામાન વિભાગે ભારતના 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે. વિભાગનું કહેવુ છે કે નીચેની દરેક જગ્યાએ સોમવારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આ જાણકારી ગૃહ મંત્રાલયે આપી છે.
જમ્મૂ કાશમીર અને હિમાચલ પ્રદેશ
મંત્રાલયે જણાવ્યું કે જમ્મૂ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદ આવી શકે છે અને ઝડપી પવન ફૂંકાઈ શકે છે. હરિયાણામાં વાવાઝોડાની આશંકાને પગલે બે દિવસ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હી અને તેની નજીકના શહેરોમાં આવી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જનજીવનને પ્રભાવિત કરી શકે તેવો પલટો વાતાવરણમાં આવી શકે છે. હવામાનના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં દિલ્હી અને તેની નજીકના શહેરો ફરીદાબાદ, વલ્લભગઢ, ખૂર્જા, ગ્રેટર નોઈડા અને બુલંદશહરમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે.
વાવાઝોડાનું એલર્ટ
આઈએમડી હિમાચલ પ્રદેશના ડાયરેક્ટર મંગલ સિંહે મીડિયાને જણાવ્યું કે રાજ્યના ઘણા હિસ્સાઓમાં 7 થી 8 મે વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. શિમલા, સોલન, હમીરપુર, મંડી, કંગડા અને ઉના જિલ્લા માટે 7 અને 8 મે ના રોજ વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.
અત્યાર સુધી 149 લોકોના જીવ ગયા
તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં બુધવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડામાં અત્યાર સુધીમાં 149 લોકોના જીવ ગયા છે. 400 થી વધુ પશુઓ માર્યા ગયા છે. 132 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવેલા વાવાઝોડાથી સૌથી વધુ મોત યુપીના આગ્રામાં થયા છે. જ્યાં 50 થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. આ વાવાઝોડાથી યુપી અને રાજસ્થાન સૌથી વધુ અસરગ્રસ્ચ થયા છે.