સિદ્ધુના પાકિસ્તાન સાથે સબંધ, તેને સીએમ નહીં બનવા દઉ:કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહારો કર્યા છે.
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહારો કર્યા છે. કેપ્ટનના રાજીનામા બાદ એવી અટકળો ચાલી રહી છે કે સિદ્ધુને પંજાબમાં સીએમ બનાવવામાં આવશે અને જ્યારે કેપ્ટનને પૂછવામાં આવ્યું કે જો સિદ્ધુ તેમના પછી સીએમ બને તો કેપ્ટને કહ્યું કે, જો આવું થશે તો તે તેનો વિરોધ કરશે, કારણ કે સિદ્ધુના પાકિસ્તાન સાથે સીધા સંબંધ છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે જો નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી બનશે તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો હશે.
કેપ્ટને કહ્યું કે સોનિયાજીએ પંજાબના સીએમ નક્કી કરવાના છે, પરંતુ જો સિદ્ધુ સીએમ ચહેરો હશે તો તે પંજાબ માટે વિનાશક હશે. જો સિદ્ધુ સીએમ બને તો હું તેનો વિરોધ કરીશ. સિદ્ધુ કંઈ સંભાળી શકતા નથી, હું તેમને ખૂબ સારી રીતે ઓળખું છું, જ્યારે તે કેન્દ્રીય મંત્રી હતા તે સમયે તેને એક ફાઈલ પણ ખોલી ન હતી, જે મંત્રાલય સંભાળી ન શકે તે રાજ્ય શું સંભાળી શકે? જો તે સીએમ બને તો પંજાબ માટે ભયાનક હશે. કેપ્ટને કહ્યું કે સિદ્ધુનો સીધો સંબંધ ઇમરાન ખાન અને જનરલ બાજવા સાથે છે, જે દરરોજ કાશ્મીરમાં આપણા સૈનિકોને મારે છે. એટલું જ નહીં દરરોજ બોર્ડર પરથી અહીં ડ્રોન આવી રહ્યા છે. કેપ્ટને કહ્યું કે સિદ્ધુનું લક્ષ્ય પંજાબના મુખ્યમંત્રી બનવાનું હતું.
તમને જણાવી દઈએ કે પંજાબના રાજકારણમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેનો ઝઘડો કોઈથી છુપાયેલો નથી. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવીને પાર્ટીમાં બધુ બરાબર છે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે કેપ્ટને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને કહ્યું કે પાર્ટીમાં કંઈક બરાબર નથી. કેપ્ટનના રાજીનામા બાદ હવે સિદ્ધુને સીએમ બનાવવાની અટકળો સૌથી વધુ છે. જો કે, નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય સોનિયા ગાંધીએ લેવાનો છે.
ઉલ્લેખનિય છે કે આજે સવારથી જ અટકળો ચાલી રહી હતી કે કેપ્ટન મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે. જે બાદ સાંજે કેપ્ટને રાજીનામું આપી દીધુ હતુ. કેપ્ટનના રાજીનામાં બાદ હવે પંજાબમાં મોટી રાજકિય ઉથલપાથલના એંધાણ છે.