વધુ ફી લેશે તો ખાનગી શાળાઓની માન્યતા થશે રદ્દ:ભુપેન્દ્રસિંહ ચુડાસમા
જાણો ગુજરાતમાં શાળાની ફી અંગે રાજ્ય સરકારે શું નવો કાયદો જાહેર કર્યો છે. વિગતવાર વાંચો અહીં.
રાજ્યની સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફી નિર્ધારણ અંગેના નિયમો અને કાયદા મંગળવારે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા જાહેર કર્યા હતા. સાથે જ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિયમો અમલી બનાવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સ્વનિર્ભર શાળાઓએ પોતાની શાળા માટે ફી નિયમન સમિતિ સમક્ષ નિયમાનુસાર કાર્યવાહી કરીને આગામી શૈક્ષણિક સત્ર માટે પોતાની ફી નિર્ધારિત કરવાની રહેશે.
આ નિયમોનો ભંગ કરનાર શાળાઓ સામે કાયદાના પ્રથમ ભંગ માટે રૂ ૫ લાખનો દંડ, બીજીવાર ગુના માટે ૫ થી ૧૦ લાખનો દંડ, જો ત્રીજી વાર કાયદાનો ભંગ કરશે શાળાને અપાયેલ માન્યતા રદ્દ કરવામાં આવશે અને NOC પરત ખેંચવાની કાર્યવાહી કરશે. નિયત ફી કરતા વધુ વસૂલ થયાના કિસ્સામાં બમણી ફી પરત કરવી પડશે.
સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની ફી નક્કી કરવા માટે નક્કી કરાયેલ નિયમ અંતર્ગત શાળાએ પોતાની દરખાસ્ત ફોર્મ - ૨માં તૈયાર કારીને સત્વરે ફી નિયમન સમિતિ સમક્ષ રજુ કરવાની રહેશે. ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ સમિતિ દરખાસ્ત મળશે તેની ચકાસણી કરશે. તે પછી આ સમિતિ દરખાસ્ત મળ્યાની તારીખથી ૯૦ દિવસમાં નિર્ણય કરશે. નોંધનીય છે કે ગુજરાતમાં શાળાઓ દ્વારા લેવામાં આવતી વધારાની ફી અંગે વાલીઓ લાંબા સમયથી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા.