2006 પહેલા નિવૃત્ત થનારાને પણ છઠ્ઠા પગાર પંચનો લાભ મળશે
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ જાન્યુઆરી 2006 પહેલા સેવા નિવૃત થયા છે તેમને પણ છઠ્ઠા પગાર પંચનો લાભ મળશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દેતા જાન્યુઆરી 2006 પહેલા નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શનમાં છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર મંજુરીની મ્હોર મારી દીધી છે.
આ ચૂકાદા પહેલા કેન્દ્ર સરકારે છઠ્ઠા પગાર પંચનો લાભ એ કર્મચારીઓને જ આપવાનું એલાન કર્યું હતું કે જેઓ જાન્યુઆરી 2006 અથવા ત્યારબાદ સેવા નિવૃત થયા હોય. પહેલી જાન્યુઆરી 2006 પહેલા સેવા નિવૃત થયેલા ઓલ ઇન્ડિયા સર્વિસના કર્મચારીઓ, આઇએએસ, આઇપીએસ અને આઇઆરએસ વગેરેને પેન્શનમાં છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા માંગ કરી હતી.
કેન્ટ અને દિલ્હી હાઇકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેની સામે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની ખાસ અરજીને ફગાવી દેતા હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં એવી દલીલ આપી હતી કે, છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી 2006થી લાગુ થઇ છે. આમ તે પહેલા સેવા નિવૃત થયેલા કર્મચારીઓને તેનો લાભ આપી ન શકાય. પહેલી જાન્યુઆરી 2006ને કટ ઓફ ડેટ ગણવામાં આવશે.
કર્મચારીઓ દ્વારા એવી દલીલ આપવામાં આવી હતી કે તેમણે પણ છઠ્ઠા પગાર પંચનો લાભ મળવો જોઇએ તેઓ તેના હક્કદાર છે. કર્મચારીઓ તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે 2006 પહેલા સેવા નિવૃત થયેલા કર્મચારીઓ સેવા નિવૃતિ સમયે એ જ પગાર ધોરણ પર કામ કરી રહ્યા હતા જે પગાર ધોરણ પર વર્તમાન સમયમાં કામ કરતા કર્મચારીઓના પગારના આધાર પર પેન્શન નક્કી થાય છે. આમ વર્તમાન સમયમાં કામ કરતા કર્મચારીઓને જે લાભ મળે છે તે તેમને પણ આપવામાં આવે.