મીઠાના અગરોના દબાણના વિરોધમાં આજે માછીમારોનું સંમેલન
કચ્છના ભચાઉ તાલુકાના ચેરાવાડી (સૂરજબારી)પાસે મીઠાના અગરોનું દબાણ દૂર કરાવવા માટે માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠનના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં ત્રીજીવાર જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 2 એપ્રિલ, 2013ના રોજ વિરોધ સંમેલન યોજવાની જાણ કરી હતી.
આ અંગે સંગઠનના પ્રમુખ આદમ ઇલિયાસ, મંત્રી સિદ્દીક ઓસમાણ સમા, સભ્ય ગાધ હારૂન સધિક વગેરેના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચેરાવાડીની બાજુમાં મીઠાના અગરના લીઝ ધારકો દ્વારા દરિયાઇ ભરતી અને ઓટના વિસ્તારમાં દબાણ કરીને મીઠાના નવા અગરો બાંધવામાં આવ્યા છે. કલેક્ટર દ્વારા જ તેમને લીઝ આપવામાં આવી છે. પણ તેમને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનવાળા વિસ્તારમાં લીઝ માટે પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં આ લીઝ ધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આથી આ દબાણ વહેલીતકે દૂર કરાવવું જોઇએ.
અગાઉ પણ આ બાબતની બે વાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા હવે માછીમારોએ વઘારે આક્રમક બનવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે આજે માછીમાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે.