પંજાબ કોંગ્રેસની લખીમપુર ખેરી પદયાત્રા, સિદ્ધુએ કહ્યું - જો આશિષ સામે કાર્યવાહી નહીં થાય તો હું ભૂખ હડતાલ કરીશ
પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં લખીમપુર ખેરી જવા રવાના થયા હતા.
ચંદીગઢ : પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં લખીમપુર ખેરી જવા રવાના થયા હતા. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, જો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે.
નવજોત સિંહ સિદ્ધુનો કાફલો લખીમપુર ખેરી જવા રવાના થયો છે. આ કાફલામાં પંજાબ કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓ શામેલ છે. સિદ્ધુ સેંકડો વાહનોના કાફલા સાથે અનેક કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો સાથે છે. ઉલ્લેખનીય છે કે, અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIR બહરાઇચના જગજીત સિંહે નોંધાવી છે. FIR અનુસાર આશિષ કારમાં બેઠો હતો. જેણે ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ ઉપરાંત આશિષ પર ગોળીબાર કરવાનો પણ આરોપ છે. દિવસની શરૂઆતમાં પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખે પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસની ઝાટકણી કાઢી હતી અને તેના પર બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
મોહાલીના એરપોર્ટ લાઈટ પોઈન્ટથી આ પદયાત્રા શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ સિદ્ધુએ કહ્યું હતું કે, જો ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ એક રેલી કાઢશે.
જાણો શું છે સમગ્ર ઘટના ?
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી.
આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા 3-4 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.