રસ્તાઓ કાયમ માટે બંધ કરી શકાતા નથી, સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનો પાસેથી માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે ગુરૂવારના રોજ ખેડૂતોના આંદોલનને કારણે બંધ પડેલો રસ્તો ખોલવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી.
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરૂવારના રોજ ખેડૂતોના આંદોલનને કારણે બંધ પડેલો રસ્તો ખોલવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈપણ નાગરિકની જેમ ખેડૂતોને પણ વિરોધ કરવાનો અને પોતાનો વિરોધ નોંધાવવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખી શકાતા નથી. આનો ઉકેલ લાવવો જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે ધરણાનું નેતૃત્વ કરતા ખેડૂતોના સંગઠનોને શેરીઓમાંથી ધરણા હટાવવાની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટ આ મામલે આગામી 7 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે.
ખેડૂતોના આંદોલનને કારણે બંધ રસ્તો ખોલવાની માગ કરવામાં આવી
મોનિકા અગ્રવાલ અને હરિયાણા સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં ખેડૂતોના આંદોલનને કારણે બંધ રસ્તો ખોલવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નોઈડાથી દિલ્હીને જોડતા રસ્તાઓ ખેડૂતોના આંદોલનને કારણે બંધ છે અને તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યોછે. તેથી આ રસ્તાઓ ખોલવા જોઈએ. આ અંગે આજે અરજદાર વતી એસજી તુષાર મહેતાએ જ્યારે ખેડૂતો વતી દુષ્યંત દવે અને પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી.
ગત સુનાવણી 4 ઓક્ટોબરના રોજ હતી
આ મામલે છેલ્લી સુનાવણી 4 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખેડૂતોને પૂછ્યું હતું કે, જ્યારે મામલો કોર્ટમાં છે, તો પછી વિરોધકેમ કરવામાં આવી રહ્યો છે? અમે ત્રણેય કૃષિ કાયદાઓના અમલીકરણ પર સ્ટે મૂકી દીધો છે, તો ખેડૂતો શું વિરોધ કરી રહ્યા છે?
શું બાબત છે?
ગયા વર્ષે જૂનમાં કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદાઓ લાવ્યા હતા, જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદીની મંજૂરી આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે, આકરારની ખેતીને મંજૂરી આપવી અને ઘણા અનાજ અને કઠોળની સ્ટોક મર્યાદા દૂર કરવાની જોગવાઇ છે. ખેડૂતો આ અંગે જૂન 2020 થી સતત આંદોલન કરી રહ્યા છેઅને આ કાયદાઓ પાછા ખેંચવાની માગ કરી રહ્યા છે.
શરૂઆતમાં આ આંદોલન રાજ્યો સુધી ચાલ્યું હતું, પરંતુ 26 નવેમ્બર, 2020થી દેશભરના ખેડૂતો સિંધુ બોર્ડર,ટિકરી બોર્ડર, ગાઝીપુર બોર્ડર અને દિલ્હી અને હરિયાણાને જોડતી દિલ્હીની અન્ય બોર્ડર પર સતત કૂચ કરી રહ્યા હતા અને દિવસ અને રાત ધરણા કરી રહ્યા છે.
દિલ્હીની સરહદો પર ખેડૂતોના ધરણાને લગભગ 10 મહિના થઈ ગયા છે. આવી સ્થિતિમાં પોલીસે ઘણા રસ્તા બંધ કરી દીધા છે.