જલ્લીકટ્ટુના સમર્થનમાં પીએમ મોદીનું ટ્વીટ, કહ્યું તમિલનાડુ માટે જરૂરી દરેક પગલા ભરવા તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું છે કે, કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે દરેક પગલાં ભરવા તૈયાર છે.
જલ્લીકટ્ટુ પર પ્રતિબંધના કારણે જે તોફાન ઉઠ્યું છે, તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમિલનાડુના લોકોની સાંસ્કૃતિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે દરેક જાતના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, તેમણે કહ્યું કે, તેમને તમિલનાડુની સમૃદ્ધ સંસ્કૃતિ પર ખૂબ ગર્વ છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે દરેક પગલાં લેવા તૈયાર છે.
શુક્રવારે જ કેન્દ્રિય કાયદો, પર્યાવરણ અને સંસ્કૃતિ વિભાગે જલ્લીકટ્ટુ અંગે આપેલ તમિલનાડુ સરકારના વટહુકમને મંજૂરી આપી હતી.
અહીં વાંચો - યુપીમાં સપા-કોંગ્રેસનું ગઠબંધન, રાહુલને મળી 105 સીટો
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારે શુક્રવારે જે વટહુકમ બહાર પાડ્યો હતો, તેને આમ તો કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી ચૂકી છે અને હવે રાષ્ટ્રપતિ પણ આ વટહુકમને મંજૂરી આપી દેશે એવી આશા વ્યક્ત થઇ રહી છે. જો કે, આ પહેલાં સુપ્રિમ કોર્ટ આ અરજીને ફગાવી ચૂકી છે, જેમાં તમિલનાડુમાં યોજાનારા પોંગલ ઉત્સવમાં વિવાદિત રમત જલ્લીકટ્ટુ રમવાની પરવાનગી માંગવામાં આી હતી. આ અંગે જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટીસ આર. બાનુમતિએ આ અરજી પર સુનાવણી માંગણી કરનારા વકીલોના એક સમૂહને કહ્યું હતું કે, આ અંગે ઓર્ડર પાસ કરવાની માંગ કરવી યોગ્ય નથી.
કેન્દ્ર સરકારે આ રમતને અનુમતિ આપવા અંગે એક સૂચના જાહેર કરી હતી, જેને ઘણી અરજીઓ દ્વારા પડકારવામાં આવી હતી. વર્ષ 2014માં સુપ્રિમ કોર્ટે જલ્લીકટ્ટુ રમત પર પ્રતિબંધ લગાવતાં કહ્યું હતું કે, આ પ્રાણીઓ સાથેની ક્રૂરતાભરી રમત છે. ગત વર્ષે તમિલનાડુ સરકારે આ રમત પરના પ્રતિબંધના નિર્ણય અંગે ફીરીથી વિચાર કરવાની અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી, જે સુપ્રિમ કોર્ટે નકારી કાઢી હતી.