જીડીપી, જીએસટી, બેરોજગારીને લઈને કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવતે સરકાર પર કર્યા આકરા પ્રહાર
જીડીપી, જીએસટી તેમજ અત્યારના સૌથી વધુ સળગતા પ્રશ્ન બેરોજગારીને લઈને નરેન્દ્રભાઈ રાવતે વન ઈન્ડિયા સાથે વાતચીત કરી. અહીં વાંચો તેમનો ઈન્ટરવ્યુ.
ગુજરાત કોંગ્રેસના પીઠ નેતા તરીકે જાણીતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્રભાઈ રાવતે વન ઈન્ડિયાના કાર્યક્રમ વન ઈન્ડિયા સંવાદમાં ખાસ વાતચીત કરી. 2014માં વડોદરાની લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ઉભા રહેનાર કોંગ્રેસ નેતાએ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના ઘણા મુદ્દાઓ પર સરકાર સામે મોરચો પણ માંડ્યો છે. પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થી નેતા તરીકે આગવી ઓળખ ધરાવતા નરેન્દ્રભાઈ રાવત વર્તમાનમાં એમએસ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ છે. તેમજ તેમના પત્ની અમીબેન કાઉન્સિલર છે. જીડીપી, જીએસટી તેમજ અત્યારના સૌથી વધુ સળગતા પ્રશ્ન બેરોજગારીને લઈને નરેન્દ્રભાઈ રાવતે વાતચીત કરી. અહીં વાંચો તેમનો ઈન્ટરવ્યુ.
કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવતે જણાવ્યુ કે આપ જાણો છો કે 2004થી 2014માં કોંગ્રેસની યુપીએ સરકાર હતી અને 2014માં નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર આવી ત્યારબાદ અત્યારે બીજી ટર્મમાં પણ આવી છે. સૌથી મહત્વની બાબત જીડીપી છે જેની પરિસ્થિતિ અત્યારે -23 છે. કોંગ્રેસની સરકાર વખતે જ્યારે 2008 અને 2009માં મનમોહન સિંહની સરકાર વખતે સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી મંદી આવી હતી અને એવા સમયે મનમોહન સિંહે એ રીતે વહીવટ કર્યો કે જેથી સમગ્ર વિશ્વમાં મંદી હોવા છતાં તેની અસર ભારત પર ઘણી ઓછી રહી. જીડીપી અત્યારે છેલ્લા 50 વર્ષના તળિયે ગયુ છે. એ રીતે જોતા સમગ્ર દેશ આર્થિક રીતે ભાંગી પડ્યો છે.
ધંધા રોજગાર ક્ષેત્રે પણ યુપીએ સરકાર કરતા નરેન્દ્ર મોદીની સરકાર પીછેહટ કરી રહી છે. 2014 પછી નરેન્દ્ર મોદીએ જે મોટી મોટી યોજનાઓ જાહેર કરી એ યોજનાઓ યુપીએ સરકારની યોજનાઓના નામો બદલીને કરવામાં આવી હતી. કોઈ પણ નવી યોજના એ લોકોએ કરી નથી. જેમકે સ્વચ્છતા મિશન એ નિર્મલ ગામ પુરસ્કાર હતો જેમાં સેનિટેશનમાં લાખો-કરોડો રૂપિયા ખર્ચીને ટૉયલેટ બનાવવાનુ કામ થતુ જેનુ નામ બદલવામાં આવ્યુ. સૌથી મોટી યોજના જેને અત્યારે સ્માર્ટ સિટી કહે છે તે હતી જવાહરલાલ અર્બન રિન્યુઅલ મિશન જે હેઠળ વડોદરાની વાત કરુ તો 2009થી 2014માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર(નળ, ગટર, રસ્તા) માાટે 2300 કરોડ વાપરવા આપ્યા. યુપીએ સરકારે શહેરને ઝૂંપડારહિત બનાવાવા માટે સૌથી મોટી હાઉસિંગ યોજના જાહેર કરી હતી જેનુ નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી સરકારી જમીન મફતના ભાવે પ્રાઈવેટ બિલ્ડરોને આપી દીધી. આવી યોજનાઓનુ તો મોટુ લિસ્ટ છે જેમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
જીએસટીની વાત કરીએ તો વગર વિચાર્યે તેનુ પર્સંટેજ પ્રમાણે જે રીતે ઈમ્પ્લીમેન્ટેશન કર્યુ તેના કારણે આખો દેશ ભાંગી પડ્યો છે. અલગ અલગ સ્ટેપના ટેક્સના કારણે ધંધા-રોજગાર તૂટી ગયા. નોટબંધીના કારણે કોઈના ખિસ્સામાંથી કાળુ નાણુ પકડાયુ નહિ, જેટલા રૂપિયા માર્કેટમાં હતા તે બેંકમાં જમા થઈ ગયા એનો અર્થ કે નરેન્દ્ર મોદીની સરકારમાં નોટબંધીના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને નોટબંધીના કારણે સામાન્ય માણસ આર્થિક રીતે પડી ભાંગ્યો. 2014 પછીની નરેન્દ્ર મોદી સરકારની કાર્યપદ્ધતિ, વગર વિચારે કરેલા મોટા મોટા પગલા અને યોજનાઓના કારણે દેશ આર્થિક રીતે ભાંગી પડ્યો.
રોજગારની વાત કરીએ તો કોંગ્રેસ સરકાર જાણે છે કે દેશ ખેતીપ્રધાન દેશ છે. દસ કરોડ લોકોને ગરીબી રેખા નીચેથી મધ્યમ વર્ગ સુધી લાવ્યા જે 2004 થી 2014ની મોટી ઉપલબ્ધિ હતી. અત્યારે 20થી 22 ટકા લોકો બીપીએલ કેટેગરીના છે પરંતુ એનડીએ સરકારે આ બાબતે ધ્યાન ન આપવાથી તેમજ ધ્યાન ન આપવાના કારણે બેરોજગારી અને ગરીબીમાં ખૂબ મોટો વધારો થયો. 2014માં નરેન્દ્ર મોદીએ 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી જેના બદલે અત્યારે 2 કરોડ રોજગાર માઈનસ થઈ ગયા જે એક નોંધપાત્ર ઘટના છે. નરેન્દ્ર મોદીની સરકાર ભ્રષ્ટાચારી છે, તેમને વહીવટ કરતા નથી આવડતુ પરંતુ પ્રચાર માધ્યમોના કારણે મોટુ સ્વરુપ આપી લોકોને ગેરમાર્ગે દોર્યા.
સ્માર્ટ સિટીના નામે જે રીતે લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે, એક રૂપિયાનુ કામ થયુ નથી. ખાલી મોબાઈલમાં એપમાં સારુ સારુ બતાવવામાં આવે છે. જો વડોદરાની વાત કરીએ તો માત્ર 3 ટકા એરિયા તેમણે સ્માર્ટ સિટીમાં ડેવલપ કરવાનો હતો જે આજ દિવસ સુધી ડેવલપ થયો નથી. વાસ્તવિકતા એ છે કે લોકોને શહેરોમાં સુવિધા મળતી નથી. 25 વર્ષમાં ગુજરાતમાં ભાજપનુ શાસન સંપૂર્ણપણે નિષ્ફળ ગયુ છે. પાયાની સુવિધા એટલે કે પીવાનુ પાણી, ગટર, રસ્તાઓ જ અત્યારે ઉપલબ્ધ નથી. શિક્ષણમાં ભ્રષ્ટાચાર, આરોગ્ય સેવાઓ પણ પૂરતી નથી જેના કારણે રોગચાળા ફાટી નીકળે છે.