CRPF જવાનનો અંતિમ વીડિયો, જે તેણે પત્નીને મોકલ્યો હતો
પુલવામા હુમલાના એક સપ્તાહ બાદ આ હુમલામાં શહીદ થયેલા એક સીઆરપીએફ જવાનની પત્નીએ એ વીડિયો શેર કર્યો છે જે તેમને તેમના પતિએ હુમલા પહેલા મોકલ્યો હતો.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ ઘાટીની અંદર આતંકીઓનો સફાયો કરવામાં લાગી ગઈ છે. ગયા સોમવારે જ હુમલામાં માત્ર 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ રાશીદ ગાઝીને ઠાર મારીને સુરક્ષાબળોએ પુલવામા હુમલાનો બદલો પણ લઈ લીધો. જો કે પોતાના 40 બહાદૂર જવાનોની શહીદીથી લોકો ખૂબ ગુસ્સામાં છે અને સરકાર પાસે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે કોઈ પણ રીતે હવે પાકિસ્તાને આકરો પાઠ ભણાવવામાં આવે. આ દરમિયાન પુલવામા હુમલાના એક સપ્તાહ બાદ આ હુમલામાં શહીદ થયેલા એક સીઆરપીએફ જવાનની પત્નીએ એ વીડિયો શેર કર્યો છે જે તેમને તેમના પતિએ હુમલા પહેલા મોકલ્યો હતો. (વીડિયોઃ સમાચારના અંતમાં)
એક મિનિટ, 6 સેકન્ડનો છે આ વીડિયો
ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ પંજાબના તરનતારન વિસ્તારમાં રહેતા અને સીઆરપીએફની 76 બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલના પદ પર તૈનાત સુખજિંદર સિંહ ગયા શુક્રવારે એ જ બસમાં સવાર થઈને જમ્મુથી શ્રીનગર નીકળ્યા હતા જેના પર જૈશ એ મોહમ્મદના આતંકીએ ફિદાયીન હુમલો કર્યો. સુખજિંદર સિંહે હુમલાની થોડી વાર પહેલા જ સીઆરપીએફની એ બસમાંથી એક વીડિયો બનાવીને પોતાની પત્નીને મોકલ્યો હતો. એક મિનિટ, 6 સેકન્ડના આ વીડિયોમાં સુખજિંદર સિંહે બહારના અમુક દ્રશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા અને ત્યારબાદ બસની અંદર બેઠેલા સાથી જવાનો સાથે પોતાનો પણ વીડિયો બનાવીને પોતાની પત્નીને મોકલી દીધો. જો કે કાફલા પર થયેલા હુમલામાં પોતાના પતિની શહીદીના સમાચાર સાંભળીને તેમની પત્ની બેભાન થઈ ગઈ હતી અને એ દિવસે આ વીડિયો નહોતી જોઈ શકી.
શહીદીના સમાચાર સાંભળી બેભાન થઈ સુખજિંદરની પત્ની
સીઆરપીએફના કાફલમાં શામેલ આ બસ જેવી દક્ષિણી કાશ્મીરના પુલવામા વિસ્તારમાં પહોંચી, જૈશ એ મોહમ્મદના આતંકીઓએ બસને ફિદાયીન હુમલામાં ઉડાવી દીધી. પોતાની પત્નીને મોકલેલ આ સંદેશ સુખજિંદર સિંહનો અંતિમ વીડિયો હતો. ઘરથી દૂર, પરિવારથી દૂર સુખજિંદર કદાચ આ વીડિયો દ્વારા પોતાની પત્નીને બતાવવા ઈચ્છતા હતા કે તે દેશ માટે પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને એટલા માટે પોતાનાથી દૂર છે. સુખજિંદરની પત્નીને જેવા સમાચાર મળ્યા કે આતંકી હુમલામાં તેમના પતિ શહીદ થઈ ગયા છે તે બેભાન થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. પતિની શહીદીના દુઃખમાં ડૂબેલી સુખજિંદરની પત્નીએ 22 ફેબ્રુઆરીના રોજ પોતાના મોબાઈલ જોયો તો તેમની નજર એ વીડિયો પર પડી જે તેમના પતિએ હુમલા પહેલા મોકલ્યો હતો. વીડિયો જોઈને તેમની પત્નીની આંખો ફરીથી ભરાઈ ગઈ.
ગયા વર્ષે થયુ હતુ સુખજિંદરનુ પ્રમોશન
પુલવામા હુમલામાં શહીદ થયેલા સુખજિંદરના પરિવારમાં માતા પિતા ઉપરાંત, તેમની પત્ની અને એક સાત મહિનાનો પુત્ર છે. સુખજિંદરે વર્ષ 2003માં માત્ર 19 વર્ષની ઉંમરમાં જ કોન્સ્ટેબલના પદ પર સીઆરપીએફ જોઈન કર્યુ હતુ. ગયા વર્ષે જ સુખજિંદર સિંહનું પ્રમોશન હેડ કોન્સ્ટેબલના પદ પર કરવામાં આવ્યુ હતુ. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાબળોએ ઘાટીમાં આતંકીઓ સામે અભિયાન ચલાવ્યુ અને ગયા સોમવારે હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત જૈશના ચાર કમાન્ડોને ઠાર માર્યા. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સીમા પર પણ તણાવની સ્થિતિ છે. હુમલાની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી કે જૈશના આતંકીઓએ પીઓકેમાં બેસીને પુલવામા હુમલાનું ષડયંત્ર રચ્યુ પરંતુ તેમછતા પાકિસ્તાન પોતાની ભૂમિકા સ્વીકાર કરવા માટે તૈયાર નથી અને આરોપ લગાવી રહ્યુ છે કે કાશ્મીરની સ્થિતિના કારણે આ હુમલો થયો છે.