કેન્સાસ ગવર્નરે લખ્યો પીએમ મોદીને પત્ર
બ્રાઉનબેક એ લખ્યું કે, કેન્સાસ પ્રાંતના ગવર્નર તરીકે હું શ્રીનિવાસ કુચિભોટલા અને આલોક મદસાની સાથે ઘટેલી હિંસક ઘટના અંગે ઊંડુ દુઃખ અને અફસોસ પ્રગટ કરવા ઇચ્છું છું.
અમેરિકા ના કેન્સાસ ના ગવર્નર સેન બ્રાઉનબેક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કેન્સાસમાં ભારતીયો સાથે ઘટેલી ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેમના રાજ્યમાં ધિક્કાર અને અસહિષ્ણુતા માટે કોઇ જગ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસમાં અમેરિકન નેવીના રિટાયર્ડ ઓફિસર એડમ પ્યૂરિંટને કેન્સાસના એક બારમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 32 વર્ષીય ભારતીય સોફ્ટવેર એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાનું મૃત્યુ થયું હતું અને તેમના મિત્ર આલોક મદસાનીને ઇજા પહોંચી હતી.

કેન્સાસની ઘટના અને ભારતીય મૂળના નાગરિકો પર જાતિવાદ થી પ્રેરાઇને થયેલા આ હુમલાને કારણે અમેરિકાનો ભારતીય સમાજ સ્તબ્ધ છે. બ્રાઉનબેક એ લખ્યું છે, 'કેન્સાસ પ્રાંતના ગવર્નર તરીકે હું શ્રીનિવાસ કુચિભોટલા અને આલોક મદસાની સાથે ઘટેલી હિંસક ઘટના અંગે ઊંડુ દુઃખ અને અફસોસ પ્રગટ કરવા ઇચ્છું છું.'
'કેન્સાસના લોકો પણ મારી જેમ જ સ્તબ્ધ છે. શ્રીનિવાસના પત્ની સુનયના અને તેમના પરિવાર માટે અમને જે દુઃખ થઇ રહ્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. શ્રીનિવાસની મૃત્યુથી લઇને અત્યાર સુધીમાં અમને તેના જીવન અંગેની ખાસી વાતો જાણવા મળી છે. તેના વિશે મને જે કંઇ સાંભળવા મળ્યું તેમાં સૌથી વધારે આ શબ્દોનો પ્રયોગ થયો હતો-શ્રીનિવાસ ખૂબ બહાદુર હતો, પોતાના પરિવારને પ્રેમ કરતો હતો અને લોકોનું સન્માન કરતો હતો.' બ્રાઉનબેકના આ પત્ર પર 3 માર્ચની તારીખ જોવા મળે છે.












Click it and Unblock the Notifications
