રામદેવના મતે, રાહુલ નાદાન અને મોદી છે મહાન નેતા
આ વખતે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપનો હાથ પકડવાના પ્રયત્નો કર્યા છે. યોગગુરુ બાબા રામદેવે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે દેશની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચારના કાદવમાં ગળા સુધી ડુબી ગઇ છે. પરિસ્થિતિ એ છે કે આપણો દેશ નેતાઓ નહીં પરંતુ માફિયાઓ ચલાવી રહ્યાં છે. રામદેવે કહ્યું કે, વિદેશી હાથોમાં ભારતના દોઢ હજાર કરોડ રૂપિયાનું કાળું ધન છે જો આ રૂપિયા ભારતમાં આવતા રહે તો ભારતમાં કોઇ ગરીબ નહીં રહે. અહીં પ્રતિ ગામમાં 200 કરોડ રૂપિયા વિકાસના કામ માટે મળી શકે છે. તેમણે કહ્યું કે, જે કોઇપણ કાળા ધન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે કોંગ્રેસ તેને પોતાનો દુશ્મન સમજવા લાગે છે.
નોંધનીય છે કે રામદેવ ઘણા વર્ષોથી કાળા ધન મુદ્દે અભિયાન ચલાવી રહ્યાં છે, કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આ અભિયાનના કારણે કોંગ્રેસ તેમની દુશ્મન બની ગઇ છે. બાબા એ કહ્યું કે, મે કાળુ ધન પરત લાવવા માટે અભિયાન ચલાવ્યુ તો કોંગ્રેસ સરકાર તેમની તપાસ કરાવવામાં લાગી ગઇ. બીજી તરફ રામદેવે કોંગ્રેસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે રાહુલ એક નાદાન નેતા છે, તેમને રાજકારણની સમજ નથી. બાબાનું રામબાણ જ્યાં રાહુલની વિરુદ્ધ હતુ તો બીજી તરફ બાબા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા. બાબાએ કહ્યું કે મોદી બુદ્ધિમાન અને સાહસિક નેતા છે.
તેમને રાજકારણની સમજ છે. જો મોદી દેશના પ્રધાનમંત્રી બનશે તો દેશમાં ભ્રષ્ટાચાર ખત્મ થઇ જશે. બાબા મોદીના વખાણ કરતા રહ્યાં. આ વખાણને બાબાનો યુ ટર્ન કહેવામાં આવે તો તે ખોટું નથી. બાબાની ચાલ એ તરફ વળી જાય છે જે તરફ તેમને લાભ જોવા મળે છે. બાબા રાજકારણમાં ઘુસવા માગે છે અને મોદી અત્યારે ભારતીય રાજકારણમાં ટોપ પર છે. તેવામાં બાબા મોદીનો હાથ પકડીને પોતાની નાવડીને પાર લગાવવા માંગે છે.