Gujarat Election 2017: બાપુ અને બેનની વિદાય સૌને રહેશે યાદ!
ભાજપ અને કોંગ્રેસ આ બંન્ને પક્ષોના એક-એક ધૂરંધર નેતાએ ચૂંટણી પહેલા વિદાય લીધી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ચૂંટણી લડવાના નથી. શંકરસિંહ વાઘેલા રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસથી અલગ થયા.
આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી અનેક રીતે ખાસ બની છે. 19 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી હાલ દેશના વડાપ્રધાન છે અને આ વખતે રાજ્યમાં કોંગ્રેસ પણ ખૂબ સક્રિય રીતે ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ બંને પક્ષોના એક-એક ધૂરંધર નેતાએ ચૂંટણી પહેલા વિદાય લીધી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ વખતે ચૂંટણી લડવાના નથી. તેમની આ જાહેરાતથી ઘણાને આશ્ચર્ય થયું હતું. તો બીજા એવા ધૂરંધર નેતા છે શંકરસિંહ વાઘેલા. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ પોતાના અલગ પક્ષની સ્થાપના કરી હતી.
આનંદીબેન પટેલ
પહેલા વાત કરીએ આનંદીબેન પટેલની. તેઓ ભાજપના સૌથી પ્રમુખ મહિલા નેતા રહ્યા છે અને નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ ગણાય છે. તેઓ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ પણ કરતા હતા. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સૌને એ જાણવાની ઉત્સુકતા હતી કે, ગુજરાતમાં તેમની ગાદીએ કોણ બેસશે. આ માટે ભાજપના તમામ નેતાઓમાં આનંદીબેન પટેલ પર પસંદગી ઉતારવામાં આવી હતી. તેઓ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી પદ તેમના રાજકારણીય સફરનો હાઇ પોઇન્ટ રહ્યો છે અને એનું પરિણામ કોઇને યાદ અપાવવાની જરૂર નથી.
પાટીદાર અનામત આંદોલન
હાલની રાજ્યની પરિસ્થિતિ પર નજર કરીએ તો, ભાજપના વિજય રથના રસ્તે અડચણો ઊભી કરનાર સૌથી મોટું પરિબળ છે પાટદીર અનામત આંદોલન. પાટીદાર અનામત આંદોલન દેશમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે અને પાટીદારોના રોષની કિંમત ભાજપે ક્યાંક ને ક્યાં ભોગવી છે. આ ગુસ્સાનો જુવાળ પ્રગટ્યો હતો આનંદીબેનના કાર્યકાળમાં જ. એ પછી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે ફેસબૂક પોસ્ટ દ્વારા રાજીનામાની જાહેરાત કરી હતી અને આ માટે પોતાની ઉંમરને કારણ તરીકે આગળ ધરી હતી. એ પછી તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને અનેક મનામણાં છતાં પણ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. ભાજપ દ્વારા આખરે સોમવારે આનંદીબેન પટેલની બેઠક ઘટલોડિયા પરથી એમના જ વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલા
કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાની વિદાય પણ સૌને યાદ રહેશે. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચેના મતભેદો, રાહુલ ગાંધી સાથે બાપુની મુલાકાત અને આતંરિક વિખવાદ કેટલાયે સમયથી ચર્ચામાં હતા. શંકરસિંહ વાઘેલા ઇચ્છતા હતા કે કોંગ્રેસ એમના નેતૃત્વમાં ચૂંટણી લડે, પરંતુ હાઇકમાન્ડને આ મંજૂર નહોતું. આથી રાજ્યસભાની ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેઓ 40 વર્ષથી વધુ સમયથી સક્રિય રાજકારણમાં છે અને એક કદાવર નેતા છે. તેમણે ભાજપમાંથી રાજકારણીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી ભાજપ સામે જ ઝીંક ઝીલી કોંગ્રેસમાંથી રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા. આથી બાપુ જ્યારે કોંગ્રેસથી છૂટા પડ્યા ત્યારે ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, આ કોંગ્રેસની ભૂલ છે તથા એક વરિષ્ઠ નેતાનું અપમાન છે.
જન વિકલ્પ
કોંગ્રેસમાંથી બાપુ છૂટા પડ્યા ત્યારે તેઓ ભાજપમાં જોડાવાના હોવાની વાતો પણ વહેતી થઇ હતી, અધિકૃત રીતે રાજીનામું સોંપ્યા બાદ તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી. એ સમયે જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, આ મુલાકાત રાજકીય નહોતી અને તેઓ ભાજપમાં નહીં જોડાય. બાપુ પોતાના શબ્દો પર કાયમ રહ્યા અને તેમણે જન વિકલ્પ નામના નવા પક્ષની સ્થાપના કરી.