પાસમાં ભંગાણ બાદ હાર્દિકે કહ્યું, જનતા મારી સાથે છે
વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે શું કહ્યું?
શનિવારે ચૂંટણી પહેલા રાજ્યમાં જાણે રાજકારણીય ભૂકંપ આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના બે મોટા નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાયા હતા તથા અલ્પેશ ઠાકોરે પોતે 23મીએ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાની માહિતી આપી હતી. રેશ્મા અને વરુણ પટેલ ભાજપ સાથે જોડાયા બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, સરકારે અમારા મુદ્દાઓને સાંભળ્યાં છે તથા આવનાર સમયમાં ઠોસ પગલા લેવાની ખાતરી આપતા અમે ભાજપમાં જોડાયા છીએ. સાથે રેશ્મા પટેલે હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો.
ત્યાર બાદ હાર્દિક પટેલે પણ શ્રેણીબદ્ધ ટ્વીટ કરી પોતાનો મત રજૂ કર્યો હતો. સૌ પ્રથમ તો તેમણે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડાવા બદલ બેસ્ટ ઓફ લક કહ્યું હતું. તે પછી હાર્દિક પટેલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, કાનખજૂરાનો પગ તૂટ્યા બાદ પણ તે દોડતો જ રહેશે. મારી સાથે જનતા છે. જનતાનો સાથ છે ત્યાં સુધી હું લડતો રહીશ. ત્યાર બાદ રવિવારે સવારે અન્ય એક ટ્વીટમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, આજથી સતત 10 દિવસ સુધી 6 જિલ્લાઓમાં મારી આરક્ષણ અને ખેડૂતોના મુદ્દે જનસભા છે. જો હું ખોટો હોઇશ તો જનતા નહીં આવે અને સાચો હોઇશ તો આવશે.
कनखजूराह के पैर टूट जाने के बावजूद भी कनखजुराह दोड़ेगा !! मेरें साथ जनता हैं।जनता का साथ है तब तक लड़ता रहूँगा !!
— Hardik Patel (@HardikPatel_) October 21, 2017