ખેડૂતોને સરકારની લોલીપોપ, સિંચાઇ માટે ફક્ત પાંચ દિવસ આપશે પાણી
ખેડૂતોને સરકારની લોલીપોપ, સિંચાઇ માટે ફક્ત 5 દિવસ આપશે પાણી
સરકારો ખેડૂતોને કઇ રીતે મુર્ખ બનાવતી હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પુરુ પાડ્યું છે. ખેડૂતોનો રોષ શાંત કરવા અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ફક્ત પાંચ દિવસ પુરતું સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પાણી આપવામાં આવશે. ત્યારબાદ પાણી બંધ કરી દેવામાં આવશે.
ખેડૂતોનો રોષ ટાળવા સિંચાઇ માટે અપાશે પાણી
ખેડૂતોને સિંચાઇ માટે પાણી માંગવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું અને સરકાર સામે આંદોલન કરવું પડ્યું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઓછા વરસાદના કારણે પાક સુકાઈ ગયા અને દુષ્કાળની સ્થિતિ પેદા થઇ હતી. કેટલાક ખેડૂતોને આત્મહત્યા કરવા પણ મજબુર થવું પડ્યું. છતાં ભાજપ સરકારના પેટનું પાણી પણ હલ્યું નહીં. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવા આવી રહ્યા છે ત્યારે રૂપાણી સરકારે પોતે પાણીદાર હોવાનું બતાવવા નર્મદા કેનાલમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અનાવરણ કાર્યક્રમ દરમિયાન પાણી વેડફીને કેટલાક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે, ખેડૂતોમાં રોષ ન ફેલાય તે માટે અને વિપક્ષને મુદ્દો ન મળે તે માટે પાણી આપવાનો નિર્ણય કરાયો છે.
ખેડૂતોને માત્ર પાંચ દિવસ સુધી પાણી મળશે
સરદાર સરોવર ડેમ ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની વિશાળ કદની પ્રતિમાનું નિર્માણ કરાયું છે. આ પ્રતિમાના અનાવરણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે નર્મદા ડેમમાંથી સિંચાઈનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, નર્મદા કેનાલમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી ૨૭ ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન આપવામાં આવશે. નર્મદા કેનાલમાં સરકારે ૬૦૦૦ ક્યુસેકના બદલે ૧૨૦૦૦ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરી છે. ખેડૂતો પણ સિંચાઇ માટે પાણીનો વપરાશ કરી શકે તે માટે પાણીનો જથ્થો બમણો કરી દીધો છે.
સરકાર 15 નવેમ્બરથી પાણી આપશે ?
મુખ્ય કેનાલ સહિત માઇનોર કેનાલમાં દૈનિક ૧૨ હજાર ક્યુસેક પાણી છોડવાના કારણે અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોના પાકને આંશિક રાહત થઇ શકે છે. વર્તમાનમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૨૭.૯૮ મીટર જેટલી છે. તો, હજુ પણ મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ચાલુ જ છે. ત્યારે, દૈનિક આશરે ૨૧ હજાર ક્યુસેકની આવક થઇ રહી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ કે, શિયાળુ પાકમાં સિંચાઇ માટે ૧૫મી નવેમ્બરથી ખેડૂતોની જરૂરિયાત અને માંગ મુજબ પાણી આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ખેડૂતો અને કિસાન સંઘો સાથે ચાલી રહેલી પરામર્શમાં જો સિંચાઇ માટે ખેડૂતોને પાણીની જરૂરિયાત વહેલી હશે તો તે મુજબ પણ પાણી પૂરૂ પાડવામાં આવશે. ત્યારે, શું ખરેખર પાછળથી સરકાર ખેડૂતોને પાણી પુરુ પાડશે કે કેમ ?
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કાર્યક્રમ સફળ બનાવવા પાણી આપશે ?
ઉદ્યોગપતિઓને તેમની માંગણી પ્રમાણે પાણી આપવા ટેવાયેલી સરકાર ખેડૂતોના પ્રશ્ને હંમેશા ઠાગાઠૈયા કરી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણ માટે પાણીનો મોટા પ્રમાણમાં વેડફી દેવામાં આવશે, ત્યારે, ખેડૂતોમાં રોષ ન ફેલાય તે માટે ખેડૂતોને પણ પાણી આપી વિવાદ ન છેડાય તે માટેનો સરકારનો પ્રયાસ લાગે છે. રાજ્યમાં ચોમાસું ઘણું જ અનિયમિત રહેવા સાથે શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ખુબ જ ઓછો વરસાદ પડતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોનો પાક ક્યાં ધોવાઇ ગયો અથવા સુકાઈ ગયો છે. આ સ્થિતિમાં આર્થિક બેહાલીમાં મુકાયેલા ખેડૂતો ધ્વારા અનેકવાર સિંચાઈનું પાણી આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ધોવાઇ ગયેલા કે વરસાદ વગર સુકાઈ ગયેલા પાક-બિયારણ માટે વળતર આપવા તેમજ પાક વીમાની રકમ ચુકવવા પણ વારંવાર માંગણી કરવામાં આવી હતી. આ રજુઆતોમાં રાજ્ય સરકારના પેટનું પાણી પણ નહિ હાલતા ખેડૂતોએ રોડ ઉપર ઉતરી આંદોલનનો માર્ગ પણ અપનાવી જોયો. ત્યારે, સરકારે માત્ર ૫૧ તાલુકાઓમાં જ અછતની જાહેરાત કરતા રાજ્ય સરકારે અનેક અસરગ્રસ્ત વિસ્તારોને બાકાત રાખી ખેડૂતોને સહાયથી વંચિત રાખી સેંકડો ખેડૂત પરિવારોની ઉપેક્ષા કરી છે.
સરકારની જાહેરાતથી રિઝાશે ખેડૂતો ?
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં ખેડૂતોનો આક્રોશ વિરોધ પ્રદર્શનમાં પરિણામે નહિ તે માટે રાજ્ય સરકારે માત્ર ૫ દિવસ માટે નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં પીએમની ગુજરાતમાંથી વિદાય સાથે જ નર્મદા કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાશે. ખેડૂતો રાજ્ય સરકારની લોલીપોપ જાહેરાતથી રિઝાશે ખરા ? શું ખેડૂતોને પાંચ દિવસ પાણી મળવાના કારણે ખેડૂતોમાં હરિયાળી છવાઇ જાશે ? સરકાર પછી શિયાળું પાક માટે પાણી આપશે ખરી ?
છત્તીસગઢઃ મા સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર દીકરાને રાહુલ ગાંધીએ મનાવ્યો