અમુક યુવાનો જાણીજોઈને પુલ હલાવતા હતા, ચાલતા પણ ફાવતુ નહોતુઃ અમદાવાદનો પરિવાર માંડ-માંડ બચ્યો
મોરબીના ઝુલતા પુલની દૂર્ઘટનામાં અમદાવાદનો એક પરિવાર માંડ-માંડ પોતાની બચાવી શક્યો છે. જાણો તેમણે શું કહ્યુ.
અમદાવાદઃ મોરબીના ઝુલતા પુલની દૂર્ઘટનામાં અમદાવાદનો એક પરિવાર માંડ-માંડ પોતાની બચાવી શક્યો છે. અમદાવાદના વિજય ગોસ્વામી અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં મોરબી ગયા હતા. રવિવારે બપોરે તેઓ આ પુલ પર પહોંચ્યા ત્યારે ડરના માર્યા અડધા રસ્તેથી જ પાછા આવી ગયા. તેમણે જણાવ્યુ કે ભીડમાં અમુક લોકોએ આને હલાવવાનુ શરુ કરી દીધુ હતુ. ચાર કલાક પછી તેમનો ડર સાચો સાબિત થયો અને સાંજે આ પુલ તૂટી પડ્યો જેમાં 141 લોકો કાળનો કોળિયો બની ગયા.
અમદાવાદના વિજય ગોસ્વામીએ જણાવ્યુ કે જ્યારે તેઓ તેમના પરિવાર સાથે પુલ પર હતા ત્યારે અમુક યુવાનો પુલને હલાવી રહ્યાય હતા અને તેના કારણે તેમને પુલ પર ચાલતા પણ નહોતુ ફાવતુ. તેમને લાગ્યુ કે આ જોખમી થઈ શકે છે. માટે તેઓ આગળ વધ્યા વિના પરિવાર સાથે અડધા રસ્તેથી જ પાછા આવી ગયા. તેમણે કહ્યુ કે તેમણે પુલના સ્ટાફને આ અંગે સૂચિત કર્યા હતા પરંતુ તેમણે આ અંગે કંઈ કર્યુ નહિ.
અમુક નજરે જોનારા સાક્ષીઓએ કહ્યુ કે જ્યારે બ્રિટિશ યુગનો આ 'ઝુલતો પુલ' તૂટી પડ્યો ત્યારે તેના પર ઘણી મહિલાઓ અને બાળકો હાજર હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે કેટલાક લોકો પુલ પર કૂદતા અને તેના મોટા વાયરો ખેંચતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ કે તેના પર 'લોકોની વિશાળ ભીડ'ને કારણે પુલ તૂટી પડ્યો હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે એક ખાનગી ઑપરેટરે લગભગ છ મહિના સુધી પુલનુ રિપેરિંગ કામ કર્યુ હતુ. બેસતા વર્ષના દિવસે 26 ઓક્ટોબરે પુલને લોકો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રવિવારે સાંજે મચ્છુ નદી પરનો ઝુલતો પુલ ધરાશાયી થતાં મોરબી શહેરમાં મૃત્યુઆંક વધીને 141 થયો છે. આ બ્રિજ લગભગ એક સદી જૂનો હતો અને સમારકામ અને નવીનીકરણની કામગીરી બાદ માત્ર પાંચ દિવસ પહેલા જ તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં પત્રકારોને જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.