ડેવિડ હેડલીની કબૂલાત, ઇશરત આતંકવાદી હતી : ગુજરાત પોલીસને હાશ
હાલ સીબીઆઇ જેની તપાસ કરી રહી છે તેવા ઇશરત જહાં કેસમાં ગુજરાત પોલીસની રજૂઆતને સમર્થન મળે એવા અમેરિકામાં જન્મેલા લશ્કર એ તોયબાના ત્રાસવાદી ડેવીડ હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ સમક્ષ એવો દાવો કર્યો છે કે અમદાવાદમાં એક પોલીસ એન્કાઉન્ટરમાં પોલીસના હાથે ઠાર મરાયેલી મુંબઈ નજીકના મુંબ્રાની રહેવાસી ઈશરત જહાં લશ્કર એ તૈબાની આત્મઘાતી બોમ્બર હતી.
સત્તાવાર વર્તુળોએ કહ્યું છે કે એનઆઈએના ચાર અધિકારીઓની ટૂકડી અમેરિકાના શિકાગોમાં આવી હતી ત્યારે હેડલીએ તેમને આ માહિતી આપી હતી. ઈશરતનાં મૃત્યુએ મોટો વિવાદ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈશરતને 2004ની 15 જૂને જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ તથા બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશન જોહર અબ્દુલ ઘની સાથે ઠાર મારવામાં આવી હતી.
આ એન્કાઉન્ટર અંગે પોલીસના રેકોર્ડ્સ મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટૂકડીએ તેમનો એક કારમાં પીછો કર્યો હતો. તેમણે પોલીસ ટૂકડી પર ગોળીબાર કર્યો તે પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું અને તેમાં પોલીસોએ એ ચારેય જણને ઠાર માર્યા હતા.બીજી તરફ ઈશરતની માતા શમીમા કૌસરે ગુજરાત હાઈ કોર્ટમાં કરેલી પીટિશનમાં દાવો કર્યો છે કે તેમની પુત્રી જાવેદ શેખના પરફ્યૂમના બિઝનેસમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી હતી.