ગુજરાત ચૂંટણી: આતંકી હુમલાની આશંકા, નિશાના પર મોદી, શાહ, યોગી
ગુજરાતની ચૂંટણી માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવાવાની યોજનામાં છે, કોંગ્રેસ પણ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના આતંકવાદીઓ પણ રાજ્યમાં મોટા હુમલાનું આયોજન કરી રહ્યા હોવાના સમાચાર
ગુજરાતની ચૂંટણી માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવાવાની યોજનામાં છે, કોંગ્રેસ પણ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના આતંકવાદીઓ પણ રાજ્યમાં મોટા હુમલાનું આયોજન કરી રહ્યા હોવાના સમાચાર છે. આતંકીઓના નિશાના પર પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોવાનું કહેવાઇ રહ્યું છે. ગુપ્ત સૂત્રો અનુસાર, પાકિસ્તાની આતંકીઓ સમુદ્રના રસ્તે આવીને હુમલો કરી શકે છે. ચૂંટણી દરમિયાન પાકિસ્તાની આતંકીઓ કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. એવામાં કોસ્ટ ગાર્ડ દ્વારા પણ આતંકી હુમલાને પહોંચી વળવા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા 10 યુદ્ધ જહાજો નિરીક્ષણ માટે પાકિસ્તાનને લાગતી સમુદ્રી સીમા પર મુકવામાં આવ્યા છે. ત્રણથી ચાર હેલિકોપ્ટર દૈનિક ધોરણે આ સીમાનું હવાઇ નિરીક્ષણ કરે છે.
કોસ્ટ ગાર્ડના કમાન્ડો પણ મરીન પોલીસ સાથે હાઇ સ્પીડ બોટ પર સમુદ્રમાં નિરીક્ષણ કરવા માટે કાર્યરત છે. કોસ્ટ ગાર્ડના બે મોટા નીરિક્ષણ કરતા જહાજો સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે આઈએમબીએલ પર ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યાં છે. ગુપ્ત જાણકારીઓ મેળવવા માટે તથા તેની પુષ્ટિ માટે એસએમસી એટલે કે સબ્સિડરી મલ્ટી એજન્સિ સેન્ટર સાથે કોસ્ટ ગાર્ડના અધિકારીઓ રોજ બેઠક કરી રહ્યાં છે. જેથી ગુપ્ત માહિતી અંગે વધુ યોગ્ય તાલમેલ જળવાય. કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારોને પણ સંભાવિત આતંકી હુમલા અંગે ચેતવણી આપી રહ્યાં છે. આ માટે માછીમારોને ખાસ ટ્રેનિંગ અને જાણકારી પણ આપવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ચૂંટણી દરમિયાન સુરક્ષા અંગે રાજ્ય સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે.